નવી દિલ્હી: કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે 2025 સુધીમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20) સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થશે. ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર્સની એજીએમને સંબોધતા મંત્રી પુરીએ જણાવ્યું હતું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રથમ E 20 સ્પેશિયલ ફ્યુઅલ આઉટલેટ ખોલવામાં આવ્યું હતું, ત્યારબાદ આ સંખ્યા 600થી વધુ થઈ ગઈ છે અને 2025 સુધીમાં દેશભરમાં આવા સ્ટેશનો ઉપલબ્ધ થશે.
મંત્રી પુરીએ માહિતી આપી હતી કે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 2013-14માં 38 કરોડ લિટરથી વધીને 2021-22માં 433 કરોડ લિટર થયું છે. છેલ્લા નવ વર્ષમાં ભારતે દરેક ક્ષેત્રે વિકાસ જોયો છે. તેમણે કહ્યું કે વૃદ્ધિ-ઊર્જા સહસંબંધ સ્પષ્ટપણે દેખાય છે, કારણ કે દેશ હવે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા, ત્રીજો સૌથી મોટો તેલ ગ્રાહક અને ત્રીજો સૌથી મોટો LPG ગ્રાહક છે.
તેમણે કહ્યું કે દેશ વિશ્વમાં 4મો સૌથી મોટો એલએનજી આયાતકાર, 4મો સૌથી મોટો રિફાઈનર અને 4મો સૌથી મોટો ઓટોમોબાઈલ માર્કેટ છે. કેન્દ્રીય મંત્રી પુરીએ કહ્યું કે ભારતની વિકાસગાથાએ સમગ્ર વિશ્વમાં ધાક અને આત્મવિશ્વાસ પેદા કર્યો છે.