મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે રાજ્યમાં વરસાદથી પીડિત ખેડુતો માટે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. વરસાદને કારણે રાજ્યમાં લાખો હેક્ટરમાં પાકને અસર થઈ છે, જેનાથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે. મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) એ જણાવ્યું હતું કે દિવાળી પહેલા ખેડૂતોને નાણાં જમા કરાવી દેવામાં આવશે. શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પૂર અને ભારે વરસાદ અંગેની સમીક્ષા બેઠક યોજ્યા બાદ પત્રકાર પરિષદ દરમિયાન આ જાહેરાત કરી હતી.
આ અઠવાડિયાની શરૂઆતમાં મુખ્યમંત્રી ઠાકરેએ રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને વહેલી તકે રાહત આપવાની ખાતરી આપી હતી. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર તાત્કાલિક રાહત પેકેજની જાહેરાત કરવાની માંગ કરી હતી. ભારે વરસાદના કારણે વિदर्भ અને મહારાષ્ટ્રના મરાઠાવાડા ક્ષેત્રના ભાગોને ભારે અસર પહોંચી છે. કોલ્હાપુર અને સાંગલી અને પશ્ચિમ મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં શેરડી અને અન્ય પાકને ખરાબ રીતે નુકસાન થયું છે. વરસાદને કારણે શેરડીનું પિલાણ પણ ખોરવાઈ ગયું છે.