મુંબઇ: ડિસ્ટિલરી ક્ષમતામાં વધારો, ખાંડની ઇન્વેન્ટરીની સ્થિતિમાં સુધારો અને ઊંચા ઇથેનોલ સપ્લાયથી 2022-23માં ઇન્ટિગ્રેટેડ શુગર મિલોની ક્રેડિટ પ્રોફાઇલમાં નોંધપાત્ર સુધારો થવાની સંભાવના છે, એમ આઈસીઆરએના અહેવાલમાં જણાવાયું છે. આઈસીઆરએના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્રુપ હેડ સબ્યસાચી મજુમદારે જણાવ્યું હતું કે, ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ-ઇબીપી 20 ની અનુકૂળ નીતિઓ તેમ જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા પ્રમાણમાં સરળ ખરીદી પ્રક્રિયાઓએ મોટી ખાંડ મિલોને તેમની ડિસ્ટીલરી ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ઇથેનોલ સપ્લાયના પરિણામ રૂપે ધિરાણ પ્રોફાઇલ સારી રીતે વધે છે. અમે ખાંડના નીચા ઇન્વેન્ટરી સ્તરની અપેક્ષાઓ સાથે ઉધાર લેવાનું અને વ્યાજ ખર્ચમાં ઘટાડો અને એફવાય 2020 થી આ ક્ષેત્રની ક્રેડિટ મેટ્રિક્સને મજબૂત બનાવતા જોશું.
કેન્દ્ર સરકારે 2023-24 સુધીમાં પેટ્રોલ સાથે 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા ઈથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે ઉદ્યોગકારોને ખુલ્લેઆમ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ભારતમાં અત્યારે ઇથેનોલના ઉત્પાદન અંગે ઘણી વાતો ચાલી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદ્યોગમાં ઘણો બદલાવ આવ્યો છે.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે એક નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે, ઇથેનોલ મિશ્રણ 2013-14 ના ઇથેનોલ સપ્લાય વર્ષ દરમિયાન 1.53 ટકાથી વધીને ચાલુ ઇથેનોલ સપ્લાય વર્ષ 2020-21 ની સાલમાં 7.93 ટકા થયું છે.