મહારાષ્ટ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું કે, “જૂનથી ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદના કારણે ભારે પૂરથી 55 લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનમાં પાકને નુકસાન થયું છે. આથી રાજ્ય કેબિનેટે આ કુદરતી આફતથી અસરગ્રસ્ત ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
કૃષિ માટે હેક્ટર દીઠ રૂ. 10,000, બાગાયત માટે હેક્ટર દીઠ રૂ. 15,000 અને બારમાસી પાક માટે હેક્ટર દીઠ રૂ. 25,000 ની સહાય જાહેર કરવામાં આવી છે. આ સહાય 2 હેક્ટર જમીનની હદ સુધી આપવાની છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને મંત્રી અશોક ચવ્હાણે કેબિનેટની બેઠકમાં આ જાહેરાત કરી હતી.