સહારનપુર: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ગુરુવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યકાળની પ્રશંસા કરતા કહ્યું કે આદિત્યનાથ ઉત્તર પ્રદેશને ભ્રષ્ટાચારના માર્ગ માંથી બહાર કાઢીને વિકાસના માર્ગ પર મૂક્યો છે. શાહે કહ્યું કે, અગાઉ ઉત્તર પ્રદેશમાં ખાંડ મિલોને બંધ કરીને સૌથી ઓછા ભાવે વેચવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. હવે પશ્ચિમ યુપી હોય કે પૂર્વ યુપી, ભાજપની યોગી સરકાર બન્યા પછી એક પણ સુગર મિલ વેચાઈ નથી, ક્યાંય બંધ થઈ નથી. તેના બદલે નવી ખાંડ મિલો શરૂ કરવામાં આવી રહી છે.
શાહે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સમગ્ર વિશ્વમાં ભારતને સન્માન અપાવવાનું કામ કર્યું છે અને યોગીજીએ ઉત્તર પ્રદેશને ભ્રષ્ટાચારના માર્ગેથી હટાવીને વિકાસના માર્ગ પર લાવવાનું કામ કર્યું છે. સહારનપુર માં એક જાહેર સભાને સંબોધતા શાહે કહ્યું કે, યોગીજીએ મને આ પવિત્ર અને ઐતિહાસિક ધરતી પર મા શાકંભરી દેવીના નામ પર યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું છે તે મારા માટે સન્માનની વાત છે. શાહે કહ્યું કે, પહેલા દિલ્હીથી સહારનપુર પહોંચવામાં 8 કલાક લાગતા હતા. હવે તે માત્ર 3 કલાક લે છે. સારા રસ્તા હોવાથી અંતર ઘટ્યું છે. PM મોદીજી ના કારણે માત્ર રસ્તાનું અંતર જ નથી ઘટ્યું પરંતુ દિલનું અંતર પણ ઘટ્યું છે.