રાયપુર: ખનિજ સમૃદ્ધ રાજ્ય છત્તીસગઢે ઔદ્યોગિક નીતિ 2019-2024 હેઠળ રાજ્યમાં ઓછા પ્રદૂષિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તૈયારી કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે લોકવાણી રેડિયો કાર્યક્રમમાં જનતાને સંબોધતા જાહેરાત કરી હતી કે નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ફૂડ, ઇથેનોલ, ઇલેક્ટ્રોનિક, સંરક્ષણ, તબીબી અને સૌર ઊર્જા આધારિત નવા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
સીએમ બઘેલે કહ્યું કે, અમે 3300 કરોડના રોકાણ માટે 18 રોકાણકારો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જે બે હજારથી વધુ લોકોને રોજગાર આપશે. તેમણે કહ્યું કે, અમે ડાંગરમાંથી ઇથેનોલ બનાવવા માટે કેન્દ્ર સરકાર પાસે પણ પરવાનગી માંગી છે, જો અમને પરવાનગી મળશે, તો અમે મોટા પાયે ઇથેનોલ ઉત્પાદન માટે ડાંગરના બમ્પર ઉત્પાદનનો ઉપયોગ કરી શકીશું. મુખ્ય પ્રધાન બઘેલે કહ્યું કે આનાથી મોટી સંખ્યામાં લોકો માટે રોજગારીનું સર્જન થશે અને ડાંગર ઉત્પાદક ખેડૂતોને પાકની સારી કિંમત આપવામાં પણ મદદ મળશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.