મુંબઈ: અદાણી વિલ્મરનું માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારે રૂ. 1 લાખ કરોડના આંકને પાર કરી ગયું હતું.આજે ફરી કંપનીના શેરમાં 5 ટકાનો વધારો થયો હતો. શેરના ભાવમાં તેજી સાથે, અદાણી વિલ્મરે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ટોચની 50 ભારતીય કંપનીમાં સ્થાન મેળવ્યું છે. 8 ફેબ્રુઆરી 2022ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગના દિવસે અદાણી વિલ્મરનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 35,000 કરોડ હતું. માત્ર બે મહિનામાં તેમાં લગભગ 250 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
મંગળવારે અદાણી વિલ્મરનો શેર BSE પર 5 ટકા વધીને રૂ. 802.80 થયો હતો. 5% એ કંપનીના શેરના વેપાર માટે દૈનિક સર્કિટ મર્યાદા છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપ અને સિંગાપોરના વિલ્મર ગ્રૂપ વચ્ચેનું 50:50નું સંયુક્ત સાહસ અદાણી વિલ્મરે આ કેલેન્ડર વર્ષની શરૂઆતમાં પારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા રૂ. 3,600 કરોડ એકત્ર કર્યા હતા. આઇપીઓમાં કંપનીના શેર રૂ. 230 પ્રતિ શેરના ભાવે ઓફર કરવામાં આવ્યા હતા.