કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે કહ્યું કે ઇથેનોલ સેક્ટરનો વિકાસ શાનદાર રહ્યો છે, જેણે વિશ્વ માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
કેન્દ્રીય મંત્રીએ દિલ્હીમાં ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા આયોજિત એક દિવસીય ‘મકાઈમાંથી ઈથેનોલ પર રાષ્ટ્રીય સેમિનાર’ને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા નવ વર્ષોમાં, ખાંડ ક્ષેત્ર અગાઉની સીઝન માટે ખેડૂતોને 99.9 ટકાથી વધુ ચુકવણી સાથે આત્મનિર્ભર બન્યું છે.
તેમણે કહ્યું કે, હવે ઈથેનોલ મકાઈના ખેડૂતોને તેમની આવક વધારવામાં મદદ કરશે અને શેરડીના ખેડૂતોની જેમ ટકાઉ વિકાસ કરશે. હજારો કરોડ રૂપિયાના મૂડીરોકાણથી ગ્રામીણ ક્ષેત્રમાં હજારો નોકરીઓનું સર્જન થયું છે, જેણે ભારતીય અર્થતંત્ર પર ગુણાત્મક અસર ઊભી કરી છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે ઇથેનોલ જેવા પર્યાવરણને અનુકૂળ ઇંધણ વડાપ્રધાનની ટોચની અગ્રતાની યાદીમાં છે, જેના પરિણામે માત્ર 2 વર્ષમાં ઇથેનોલનું મિશ્રણ બમણું થયું છે અને 2025 થી 2030 સુધી 20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.
“સમયબદ્ધ આયોજન, ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓ અને ઉદ્યોગ સાથે મળીને ભારત સરકારના પારદર્શક અભિગમે આ સિદ્ધિઓને વાસ્તવિકતા બનાવી છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
ગોયલે કેન્દ્ર સરકાર, રાજ્યો, સંશોધન સંસ્થાઓ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) અને ડિસ્ટિલરીઝ દ્વારા 20 ટકા ઇથેનોલ મિશ્રણના લક્ષ્યને હાંસલ કરવા માટે સુમેળભર્યા પ્રયત્નોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.