નવી દિલ્હી: બંગાળની ખાડી પર દબાણ સર્જનાર ચક્રવાતની અસર આજે 11 મેના રોજ જોવા મળી શકે છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે પવન અને વરસાદ થવાની સંભાવના છે. બંગાળની ખાડી નજીકના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ પડશે જ્યારે અન્યત્ર તાપમાનમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત 12 મે સુધી ગંભીર બની શકે છે. તે પછી ઉત્તર-પૂર્વ તરફ વળી શકે છે અને 14 મેની બપોર સુધીમાં દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠે પહોંચી શકે છે.
આજતકમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ચક્રવાત આજે આંદામાન, નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદનું કારણ બની શકે છે. તેથી, આંદામાન અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે. મોજા વધુ ઝડપી હશે જ્યારે પવન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચશે અને ક્યારેક ક્યારેક 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય, કેરળ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આસામ, સિક્કિમના ભાગો અને તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં એકથી બે વરસાદ થઈ શકે છે.
દરમિયાન વેસ્ટ બેંગાલના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ તોફાનથી ન ગભરાવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ માટે સંપૂર્ણ તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે તોફાન બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ ફંટાઈ રહ્યું છે.