મહારાષ્ટ્રમાં પશ્ચિમ રેલવેના રૂટ પર ટ્રેનોના સંચાલનને માઠી અસર થઈ હતી. મુંબઈ નજીક OHE બ્રેકડાઉનને કારણે ગુજરાત જતી ટ્રેનો 12 કલાક માટે રોકી દેવામાં આવી હતી. આ મામલો પાલઘર જિલ્લાના દહાણુ સ્ટેશન પાસે ઓવરહેડ સાધનોમાં ખરાબીનો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગંભીર ટેકનિકલ ખામીને કારણે પશ્ચિમ રેલ્વે રૂટ પર ગુજરાત જતી તમામ ટ્રેનો લગભગ 12 કલાક માટે રોકી દેવામાં આવી હતી.
રેલ્વે અધિકારીએ જણાવ્યું કે ટ્રેનની અવરજવર પુનઃસ્થાપિત થયા બાદ અસરગ્રસ્ત સેક્શન પર ટ્રેનોની સ્પીડ ઘટાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પશ્ચિમ રેલ્વેના જણાવ્યા અનુસાર, જ્યાં OHE બ્રેકડાઉન થયું હતું ત્યાં દહાણુ નજીક 60 kmphની ઝડપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, વિરાર-સુરત સેક્શનના તમામ સ્ટેશનો પર ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યા છે. “ચર્ચગેટ (દક્ષિણ મુંબઈમાં) અને વિરાર (પાલઘર) વચ્ચેની ઉપનગરીય ટ્રેનો પર કોઈ અસર થશે નહીં,” જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે વાણગાંવ અને દહાણુ સ્ટેશનો વચ્ચે બનેલી ઘટનાને કારણે મંગળવારે મોડી રાત્રે મુંબઈથી જતી તમામ ટ્રેનો ફસાઈ ગઈ હતી. પાલઘર OHE બ્રેકડાઉન કેસમાં, ઘટનાના લગભગ ત્રણ કલાક પછી, પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ-X પર એક નિવેદન આપ્યું હતું.