કાનપુર: શુક્રવારે નેશનલ શુગર ઇન્સ્ટિટ્યૂટ (NSI) ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉદ્દઘાટન ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણીયા અને સંસ્થાના ડાયરેક્ટર ડો.સીમા પરોહાએ કર્યું હતું. રાજ્યમંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં ઈથેનોલ ઉત્પાદનને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. ખાંડ ઉદ્યોગની સાથે દેશના કરોડો ખેડૂતોને પણ તેનો લાભ મળી રહ્યો છે. ખાંડ મિલોની તરલતાની સમસ્યા ઘણી હદ સુધી ઘટી છે, અને તેઓ ખેડૂતોને સમયસર શેરડીના ભાવની ચૂકવણી કરવામાં સફળ રહી છે. તેમણે કહ્યું કે, NSI સંસ્થાના વૈજ્ઞાનિકો વધુ સારું કામ કરી રહ્યા છે, જેનાથી ખાંડ મિલો અને ખાંડ ઉદ્યોગને ફાયદો થઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે, ઇથેનોલ ઉત્પાદન અને બાયોફ્યુઅલની મદદથી ભારતને સ્વચ્છ અને હરિત ઊર્જાનો વિકલ્પ આપી શકાય છે. રાજ્યમંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ સંસ્થામાં ટિશ્યુ કલ્ચર લેબનો શિલાન્યાસ કર્યો હતો.આ પ્રસંગે ઉદ્યોગકારોને સુગર શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના ડાયરેક્ટર ડો. સીમા પરોહાએ જણાવ્યું હતું કે બાયો ફ્યુઅલ અંગે આઈઆઈટીના સહયોગથી સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે. જે પર્યાવરણ માટે મોટું પરિવર્તન સાબિત થશે. કાર્યક્રમમાં ખાંડ ઉદ્યોગને લગતું એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે શૈલેન્દ્રકુમાર દ્વિવેદી, અશોકકુમાર ગર્ગ, ડો.અશોકકુમાર, સંજય ચૌહાણ, અનુપ કનોજીયા, ડો.વિનય કુમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.