થિમ્પુ: ભારતે 24 મેના રોજ નોટિફિકેશન બહાર પાડીને 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી ખાંડની નિકાસ મર્યાદિત કરી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 31 ઓક્ટોબર, 2022થી અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે પણ વહેલું હોય, ખાંડની નિકાસની પરવાનગી માત્ર સુગર ડિરેક્ટોરેટ, ડિપાર્ટમેન્ટ ઑફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન (DFPD), કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયની ચોક્કસ પરવાનગીથી જ મળી શકશે. ભારત દ્વારા જારી કરાયેલા ખાંડની નિકાસ પ્રતિબંધથી ભૂતાન નો ઉદ્યોગ ચિંતિત છે. ભૂતાનમાં લગભગ નવ પીણા, બ્રુઅરીઝ અને ખાદ્ય અને કૃષિ ઉદ્યોગો છે, જે પ્રાથમિક કાચા માલ તરીકે ખાંડનો ઉપયોગ કરે છે. આ ઉદ્યોગમાં લગભગ 1,200 કામદારો કામ કરે છે. ઉદ્યોગોમાં કામ કરતા અધિકારીઓને ચિંતા છે કે જો ભારતનો પ્રતિબંધ ભૂતાન પર લાગુ થશે તો તેમના માટે મુશ્કેલી પડશે.
ધ નેશનલ થાઈલેન્ડમાં છપાયેલા સમાચાર અનુસાર, પીણા બનાવતી કંપની બિગ કોલાના સીઈઓ સામત્સે જામ્યાંગ ચોડાએ કહ્યું કે, પ્રતિબંધ અંગેની સૂચના સ્પષ્ટ નથી, પરંતુ જો તે ભૂતાન પર લાગુ થાય છે, તો અમારી પાસે કંપની બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. એ જ રીતે, બેવરેજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે ખાંડ અમારા માટે પ્રાથમિક કાચો માલ છે અને એકવાર આયાત બંધ થઈ જશે ત્યારે કામગીરી બંધ થઈ જશે. ભૂટાનના આર્થિક બાબતોના પ્રધાન લોકેથ શર્માએ જણાવ્યું હતું કે ભારતની નિકાસ પ્રતિબંધ દેશને અસર કરશે. અમે ખાંડનું ઉત્પાદન કરતા નથી અને ભારત પર નિર્ભર છીએ, એમ તેમણે જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું, અમે આશાવાદી છીએ કે ભારત સરકાર અમારા કેસ પર વિચાર કરશે કારણ કે અમે તેમની નિકાસ પર સંપૂર્ણપણે નિર્ભર છીએ