મુંબઈ: ઠંડી અને દુષ્કાળની અસર હવે બ્રાઝિલમાં જોવા મળી રહી છે,. હાલ ત્યાં ઉત્પાદન ઓછું થવાને કારણે ભારતને પણ તેનો લાભ મળી રહ્યો છે.
રોઇટર્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર, ભારતીય વેપારીઓએ શિપમેન્ટના પાંચ મહિના પહેલા પ્રથમ વખત ખાંડની નિકાસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. શીત લહેરને કારણે બ્રાઝિલના ઉત્પાદનમાં સંભવિત ઘટાડાએ ખાંડ ખરીદદારોને ભારતમાંથી પુરવઠો અગાઉથી સુરક્ષિત કરવા માટે પ્રેરિત કર્યા છે.
વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન દુષ્કાળ અને હવે ઠંડીના કારણે ઘટવાની શક્યતા છે. બ્રાઝિલમાં દુષ્કાળ અને ઠંડીએ શેરડીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. વેપારીઓએ જણાવ્યું હતું કે સંભવિત ઘટાડાએ ખાંડની કિંમતોને ત્રણ વર્ષમાં તેમના ઉચ્ચતમ સ્તર પર ધકેલી દીધી છે અને તે ખરીદદારોને વિશ્વની બીજી સૌથી મોટી ખાંડ ઉત્પાદક ભારત પાસેથી એડવાન્સ સપ્લાય સુરક્ષિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. અત્યાર સુધી, વેપારીઓએ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ફ્રી-ઓન-બોર્ડ (FOB) ધોરણે $ 435 અને $ 440 પ્રતિ ટન વચ્ચે શિપમેન્ટ માટે 500,000 ટન કાચી ખાંડનો કરાર કર્યો છે.
ભારતીય વેપારીઓ સામાન્ય રીતે એક કે બે મહિના અગાઉથી કરાર કરે છે અને સરકાર દ્વારા વિદેશી વેચાણ માટે નિકાસ સબસિડી જાહેર કરે પછી જ નિકાસ કરે છે. જો કે, વૈશ્વિક કિંમતો વધવાથી તાજેતરના સમયમાં સરકારી પ્રોત્સાહનો વિના ખાંડની નિકાસ સધ્ધર બની છે.
આ સિઝનમાં ખાંડ મિલોએ નિકાસની દ્રષ્ટિએ સારું પ્રદર્શન કર્યું છે અને રેકોર્ડ નિકાસ પણ અપેક્ષિત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સારા ભાવથી ખાંડ મિલોને ફાયદો થયો છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં નિકાસ આશરે 7 મિલિયન ટન થવાની ધારણા છે, અને આ અત્યાર સુધીની રેકોર્ડ નિકાસ હશે.
2020/21 ની સિઝનને ધ્યાનમાં રાખીને ભારતે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવા માટે ખાંડ મિલોને સબસીડી મંજુર કરી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ સહાય 6,000/MT થી ઘટાડીને 4,000/MT કરવામાં આવી છે.