દેશના ઘણા રાજ્યોમાં વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોની સાથે કેરળ રાજ્ય પણ આ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. પૂર અને ભૂસ્ખલનને કારણે બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં 76 લોકોના મોત થયા છે. ઘણા લોકો ત્યાં ગુમ થયા છે. બચાવ અને શોધ બાદ મૃત્યુઆંક વધી શકે છે.
ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે. કુમાઉ પ્રદેશ સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 36 લોકોએ જીવ ગુમાવ્યા છે. અવિરત વરસાદને કારણે સેંકડો મકાનો નાશ પામ્યા છે. ઘણા લોકો ફસાયા છે. અહીં અલમોડામાં કાઠગોદમ અને દિલ્હીને જોડતી રેલવે લાઇનનો એક ભાગ વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો.
આ ઉપરાંત, દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 35 લોકો માર્યા ગયા છે અને અધિકારીઓ માને છે કે મૃત્યુઆંક વધી શકે છે. સેના અને નૌકાદળની બચાવ કામગીરી છેલ્લા દિવસો સુધી ચાલુ રહી હતી.
સૌથી વધુ અસરગ્રસ્ત નૈનીતાલ વિસ્તારમાં જ મંગળવારે વહેલી સવારે સાત અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે ત્યાં વાદળ ફાટ્યા પછી, ભારે વરસાદ શરૂ થયો. આ પછી ભૂસ્ખલન થતા વિશાળ સંકટ ઉભું થયું હતું.