પુડુચેરી: પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીએ જાહેરાત કરી હતી કે, તેમની સરકારે દિવાળી પહેલા વ્યાજબી ભાવની દુકાનો દ્વારા કાર્ડ ધારકોને 10 કિલો ચોખા અને 2 કિલો ખાંડ મફતમાં વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. અહીં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે, દિવાળી પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવેલા તમામ પરિવારોને મફત ચોખા અને ખાંડનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ પડેલી રાશનની દુકાનો ચોખા અને ખાંડના વિતરણ માટે ફરીથી ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે વાજબી ભાવની દુકાનોમાં કામ કરતા કર્મચારીઓને ઘણા મહિનાઓથી પગાર મળ્યો નથી. જ્યારે દુકાનો ખુલશે ત્યારે તેમને એક મહિનાનો પગાર આપવામાં આવશે. પ્રાદેશિક સરકારે ચોખા અને ખાંડના પુરવઠા માટે ટેન્ડરને અંતિમ સ્વરૂપ આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મફત વિતરણ યોજના માટે ચોખા અને ખાંડની ખરીદી માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં લગભગ ત્રણ લાખ પરિવારોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.