જન ધન યોજનાએ દેશમાં ક્રાંતિ લાવી, 50 કરોડથી વધુ ખાતા ખોલાયાઃ નાણામંત્રી

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે જન ધન યોજનાએ દેશમાં નાણાકીય સમાવેશમાં ક્રાંતિ લાવી છે. દેશમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં લોકોએ 2 લાખ કરોડ રૂપિયાથી વધુ જમા કરાવ્યા છે. આ યોજના દ્વારા, લોકોએ બેન્કિંગ સિસ્ટમમાં મોટા પ્રમાણમાં યોગદાન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે સરકારે 9 વર્ષ પહેલા જન ધન યોજના શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય એ હતો કે દેશના તમામ નાગરિકો પાસે પોતાનું બેંક ખાતું હોવું જોઈએ.

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDYE) ની નવમી વર્ષગાંઠ છે. તે વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશની પહેલ છે. નિર્મલા સીતારમણે કહ્યું કે આ યોજનામાં મહિલાઓ દ્વારા 55.5 ટકા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. જ્યારે ગ્રામીણ/અર્ધ-શહેરી વિસ્તારમાં 67 ટકા ખાતા ખોલવામાં આવ્યા છે.

આ યોજના હેઠળના બેંક ખાતાઓની સંખ્યા માર્ચ 2015માં 14.72 કરોડથી 3.4 ગણી વધીને 16 ઓગસ્ટ, 2023 સુધીમાં 50.09 કરોડ થઈ ગઈ છે. આ સાથે માર્ચ 2015 સુધી આ ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ 15,670 કરોડ રૂપિયા હતી. આ રકમ પણ ઓગસ્ટ 2023 સુધીમાં વધીને 2.03 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. જો આપણે જન ધન ખાતામાં સરેરાશ જમા રકમ પર નજર કરીએ તો તે માર્ચ 2015માં 1,065 રૂપિયાથી 3.8 ગણી વધીને ઓગસ્ટ 2023માં રૂપિયા 4,063 થઈ ગઈ છે.

આ સ્કીમ દ્વારા લોકોને 34 કરોડ રુપે કાર્ડ કોઈ પણ ચાર્જ વગર આપવામાં આવ્યા છે. આ સાથે લોકોને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવચની સુવિધા પણ આપવામાં આવી છે. આ યોજનામાં જેરો બેલેન્સ ખાતાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2023 સુધીમાં જન ધન ખાતાના કુલ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઘટીને 8 ટકા થઈ ગયા છે, જે માર્ચ 2015માં 58 ટકા હતા.

PMJDYની આગેવાની હેઠળના 9 વર્ષના હસ્તક્ષેપો અને ડિજિટલ પરિવર્તને ભારતમાં નાણાકીય સમાવેશમાં ક્રાંતિ લાવી છે. હિસ્સેદારો, બેંકો, વીમા કંપનીઓ અને સરકારી અધિકારીઓના પ્રયાસોથી, PMJDY એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ઉભરી આવી છે જેણે દેશમાં નાણાકીય સમાવેશની લેન્ડસ્કેપ બદલી નાખી છે.

નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે જણાવ્યું હતું કે જન ધન-આધાર-મોબાઇલ (JAAM) આર્કિટેક્ચરે સામાન્ય માણસના ખાતામાં સરકારી લાભો સફળતાપૂર્વક પહોંચાડવામાં સક્ષમ બનાવ્યા છે. તેઓ વધુમાં ઉમેરે છે કે PMJDY ખાતાઓ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) જેવી લોકો-કેન્દ્રિત પહેલનો આધાર બની ગયા છે અને સમાજના તમામ વર્ગો, ખાસ કરીને વંચિતોના સમાવેશી વિકાસમાં યોગદાન આપ્યું છે. જન ધન યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દરેક બેંક વગરના પરિવાર માટે ઝીરો-બેલેન્સ બેંક ખાતા ખોલીને તમામને બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here