મુંબઈ: નિર્મલા સિતા રામન અને મોદી સરકાર દ્વારા બેન્કોને મર્જર કરી દેવાની પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે હવે નવા ફાઇનાન્સિયલ વર્ષ એટલે કે એપ્રિલમાં તેનો અમલ કરવા સરકાર રહી છે. કોરોના સંકટ અને લૉકડાઉનની વચ્ચે દેશની બેન્કિંગ વ્યવસ્તામાં સુધાર માટે સરકાર 1 એપ્રિલે બેન્કોનો વિલય કરી દેશે. સરકારના આ પગલાથી દેશની બેન્કિંગ વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં 10 બેન્કોનો વિલય કરીને 4 નવી બેન્ક બનાવવામાં આવશે.
યૂનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સ નો વિલય પંજાબ નેશનલ બેન્કમાં કરવામાં આવ્યો છે. આ વિલય બાદ તે જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક બની ગઈ છે. જ્યારે સિન્ડિકેટ બેન્કનું કેનરા બેન્ક સાથે મર્જર થયું છે. આ સાથે અલ્હાબાદ બેન્ક નું મર્જર ઇન્ડિયન બેન્કમાં થયું છે. આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું મર્જર યૂનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયામાં કરી દેવામાં આવ્યું છે.
આ વિલય બાદ દેશમાં સાત મોટા આકારની બેન્ક હશે જેનો કારોબાર 8 લાખ કરોડ રૂપિયાથી વધુનો હશે. વિલય બાદ દેશમાં સાત મોટી બેન્ક, પાંચ નાની બેન્ક રહેશે. મહત્વનું છે કે વર્ષ 2017માં જાહેર ક્ષેત્રોની બેન્કોની સંખ્યા દેશમાં 27 હતી. આ સિવાય સરકારે બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કનો વિલય કર્યો છે. આ ત્રણના વિલય બાદ બનનારી બેન્ક દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2017માં ભારતીય સ્ટેટ બેન્કમાં 5 સહાયક બેન્કો- સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ તથા ભારતીય મહિલા બેન્કનો વિલય થયો હતો. દેશમાં કોરોનાને કારણે આ વિલયને કેટલાક સમય માટે સ્થગિત કરવાની અફવા સાંભળવામાં આવી રહી હતી. પરંતુ સરકારે સ્પ્ષ્ટ કર્યું કે, કોરોના વાયરસ કે લૉકડાઉનની વિલય પર કોઈ અસર પડશે નહીં.