પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે જનતાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સારા દિવસોની આશા રાખતા લોકો પર એક પછી એક બોજ વધી રહ્યો છે.ગરીબ દેશમાં મોંઘવારી દર 35 ટકાની ઉપર પહોંચી ગયો છે, જ્યારે હવે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો છે અને જનતા પર EMI નો વધારાનો બોજ લાદી દીધો છે.બેન્ચમાર્ક વ્યાજ દરમાં 100 બેસિસ પોઈન્ટ એટલે કે 1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને તે વધીને 21 ટકા થયો છે.
રોયટર્સના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બેંક દ્વારા બેન્ચમાર્ક વ્યાજદર માં આ વધારા પછી, હવે દેશની તમામ બેંકો તેમની લોનના વ્યાજ દરમાં વધારો કરશે,જેના કારણે આ બેંકો પાસેથી લોન લેનારા લોકોને અસર થશે અને તેઓએ તેમની લોન માટે વધુ EMI ચૂકવવી પડશે. આવી આશંકા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જો કે સેન્ટ્રલ બેંકે અપેક્ષા કરતા ઓછો વધારો કર્યો છે. નિષ્ણાતો વ્યાજ દરમાં 200 બેસિસ પોઈન્ટનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા.
પાકિસ્તાનમાં મોંઘવારી 35.4 ટકાને વટાવી ગઈ છે અને આ આંકડો છેલ્લા પાંચ દાયકામાં સૌથી વધુ છે. ખાદ્ય પદાર્થોથી લઈને રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓ સુધીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને તેને ખરીદવી લોકોની પહોંચની બહાર બની રહી છે. લોટથી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધી દરેક વસ્તુ પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવાના સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. અને હવે થાક્યા બાદ સરકારે લોકોને એક પછી એક આંચકાનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું છે.
ડોન અખબારના જણાવ્યા અનુસાર, નાણા મંત્રાલયે તાજેતરમાં પાકિસ્તાનના લોકોને ચેતવણી આપી છે કે મોંઘવારી વધુ વધી શકે છે. સરકારની આ ચેતવણીથી સ્પષ્ટ છે કે નોટબંધીના આરે ઉભેલા દેશમાં લોકોની મુશ્કેલી વધુ વધવાની છે.