કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતનાં ગાંધીધામ ખાતે ઇફ્કો નેનો ડીએપી (લિક્વિડ) પ્લાન્ટનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીધામ ખાતે ઇફ્કો નેનો ડીએપી (લિક્વિડ) પ્લાન્ટનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઈફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાનાં સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સહકારિતા મંત્રાલયની રચના કરીને ‘સહકાર સે સમૃદ્ધિ’નાં વિઝન સાથે દેશના 15 કરોડ ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીધામ ખાતેના આગામી પ્લાન્ટથી ૩૦ લાખ ટન ડીએપીનું ઉત્પાદન કરતા ઇફ્કોના હાલના પ્લાન્ટ કરતા વધુ ઉત્પાદન થશે. કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રવાહી ખાતરથી દેશની અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્રને બહુઆયામી લાભ મળવાનો છે. નેનો ડીએપી (પ્રવાહી)ના છંટકાવથી જમીન પ્રદૂષિત નહીં થાય, જે કુદરતી ખેતીને વધુ સરળ બનાવશે, કૃષિ ઉત્પાદનની સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં વધારો કરશે અને જમીન સંરક્ષણને પ્રોત્સાહન આપશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ઇફ્કો ડીએપી (પ્રવાહી) જમીનની અંદર જતું નથી, પરંતુ પાકની ટોચ પર રહે છે, જેનાં કારણે ડીએપીનો લાભ પાકને મળે છે એટલું જ નહીં, જમીન પણ સચવાય છે. ડીએપી (લિક્વિડ) પાણીને પ્રદૂષિત નહીં કરે, ઉત્પાદન વધારશે, ભાવને પરવડે તેવા રાખશે, સરકારી સબસિડીનું ભારણ ઘટાડશે અને યુરિયા અને ડીએપીનાં ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આયાત ઘટાડશે. તેમણે ઇફ્કોને આ મહત્ત્વપૂર્ણ પહેલ બદલ અભિનંદન આપતાં કહ્યું હતું કે, ઇફ્કોએ દુનિયામાં પ્રથમ વખત નેનો ફર્ટિલાઇઝરની શરૂઆત કરી છે એટલું જ નહીં, પરંતુ ભારતને ખાતર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં તે ઘણી મદદગાર સાબિત થશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે ખાતરો યોગ્ય માત્રામાં અને યોગ્ય કિંમતે ઉપલબ્ધ થાય છે, ત્યારે ખેડૂતો વધુ સમૃદ્ધ બને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદીનાં નેતૃત્વમાં આ દેશને ફરી એકવાર હરિયાળી ક્રાંતિની જરૂર છે, પરંતુ આ હરિત ક્રાંતિ એક અલગ પ્રકારની હશે અને તેનું લક્ષ્ય માત્ર ઉત્પાદન નહીં હોય. શ્રી શાહે કહ્યું હતું કે, એ દિવસો વીતી ગયા છે જ્યારે આપણે અન્ય દેશોમાંથી ઘઉં અને ચોખાની આયાત કરવી પડતી હતી. આજે આપણા વૈજ્ઞાનિકોની મહેનત, અનેક સરકારોના સતત પ્રયાસો અને છેલ્લાં નવ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વૈજ્ઞાનિક આયોજનના કારણે ભારત અન્નક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, નવી હરિયાળી ક્રાંતિમાં ભારતે કુદરતી ખેતીનો માર્ગ દુનિયાને બતાવવો પડશે અને આ માટે કુદરતી ખેતીની હરિયાળી ક્રાંતિ જરૂરી છે. તેમણે કહ્યું કે આ પ્રકારની હરિયાળી ક્રાંતિ લાવવી પડશે જેથી ખેડૂતોને તેમનાં ઉત્પાદન માટે વધુ મૂલ્ય મળે અને તેઓ એકર દીઠ મહત્તમ ઊપજ મેળવી શકે. આ સાથે જ હરિયાળી ક્રાંતિથી ભારતીય ખેડૂતોનાં ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ સમગ્ર વિશ્વમાં કરવામાં મદદ મળશે અને ભારતને વધુ સમૃદ્ધ બનાવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના “સહકાર સે સમૃદ્ધિ”નાં વિઝનને સાકાર કરવા સહકારિતા મંત્રાલયે ત્રણ બહુ-રાજ્ય સહકારી મંડળીઓની રચના કરી છે અને આ ત્રણ મંડળીઓ આ ત્રણ લક્ષ્યાંકોને પૂર્ણ કરશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બિયારણને પ્રોત્સાહન આપશે અને તેમાં ફેરફાર કરશે, જૂનાં બિયારણોનું જતન કરશે અને ખેડૂતની એકરદીઠ ઊપજ વધારવાનું કામ કરશે. બીજી મલ્ટિ સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી ખેડૂતો પાસેથી કૃષિ ઉત્પાદનો ખરીદશે અને તેની નિકાસ કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ઘણા ખેડૂતો ધરતી માતાને બચાવવા કુદરતી ખેતી તરફ વળ્યા છે, પણ તેમની પાસે બે મુખ્ય સમસ્યાઓ છે. પહેલી સમસ્યા એ છે કે સર્ટિફિકેશનના અભાવે લોકો તેમની પ્રોડક્ટને ઓર્ગેનિક માનતા નથી અને બીજું, જો કરે તો પણ કોઈ તેની સારી કિંમત ચૂકવવા માગતું નથી. આજે દેશમાં એવાં ઘણાં લોકો છે જે ઓર્ગેનિક ફૂડ, શાકભાજી, ઘઉં, ચોખા, કઠોળ અને તેલ સારી કિંમતે ખરીદવા માંગે છે, પરંતુ તેનાં સર્ટિફિકેશન અને માર્કેટિંગ માટે કોઈ વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે સરકારે ઓર્ગેનિક ઉત્પાદનોનાં માર્કેટિંગ માટે એક બહુ-રાજ્ય સહકારી મંડળીની રચના કરી છે, જે જમીનને પ્રમાણિત કરશે અને ખેડૂતો પાસેથી જૈવિક પેદાશોનું ઉત્પાદન કરશે અને ખરીદશે. આ ઉત્પાદનોને દેશવ્યાપી બજારમાં સારી બ્રાન્ડ અને આકર્ષક પૅકિંગ સાથે વેચવામાં આવશે અને નફો સીધો ખેડૂતનાં બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નિકાસ માટે ત્રીજી મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવી છે. આ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી નાનામાં નાના ખેડૂતનાં ઉત્પાદનોને પણ વિશ્વબજારમાં લઈ જવા માટે નિકાસ પ્લેટફોર્મ બનશે અને તેનો નફો સોસાયટી પાસે નહીં રહે પરંતુ સીધો જ ખેડૂતોનાં બૅન્ક ખાતામાં જશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીધામમાં 70 એકર જમીન પર આશરે 350 કરોડના ખર્ચે સ્થપાનારા પ્લાન્ટ માટે ઇફ્કોએ બૅન્ક પાસેથી એક પણ રૂપિયો ઉધાર લીધો નથી, ઇફ્કોમાં તેની પાસે 100 ટકા ઇક્વિટી છે. તેમણે કહ્યું કે ઇફ્કોની ઇક્વિટીનો અર્થ 4 કરોડ ખેડૂતોની ઇક્વિટી છે કારણ કે ઇફ્કોનાં નાણાં પેક્સ દ્વારા ખેડૂતને પાછા જાય છે અને બાકીના સહકારી મંડળીઓ દ્વારા જાય છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટમાંથી દેશ અને દુનિયામાં 500 મિલીલીટરની 2 લાખ નેનો યુરિયાની બૉટલ મોકલવામાં આવશે, જેનાથી યુરિયાની 60 મિલિયન બેગની આયાતમાં ઘટાડો થશે અને ભારત ખાતરનાં ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ જશે.

તેમણે જણાવ્યું હતું કે, તેનાથી ખાતરની સબસિડીની પણ આશરે રૂ.10,000 કરોડની બચત થશે, જે ખેડૂતો માટે પાછી આવશે, તેનાથી આશરે રૂ. 3,500 કરોડનું વિદેશી હૂંડિયામણ પણ બચશે. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ફૅક્ટરીમાં એક વર્ષની અંદર પ્રવાહી ડીએપીનું ઉત્પાદન શરૂ થઈ જશે. આ પ્લાન્ટ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જના આધારે બનાવવામાં આવ્યો છે, જે પર્યાવરણનું રક્ષણ કરશે અને ખાતરનો ખર્ચ ઘટાડશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્ર ખાતરનાં ઉત્પાદન અને વેચાણમાં દેશની કૃષિ ક્રાંતિનો મજબૂત આધારસ્તંભ બની ગયું છે અને આજે આ સ્તંભ વધુ મજબૂત બન્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદી “સહકાર સે સમૃદ્ધિ”ના મંત્રને સાકાર કરવા માટે પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટી (પીએસીએસ)થી લઈને એપેક્સ સુધીનાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવ્યા છે અને સૌથી મોટો ફેરફાર પીએસીએસને બહુઆયામી બનાવવાનો છે. હવે પેક્સ ખાતરની દુકાન, સસ્તા ભાવની દવાની દુકાન, વાજબી ભાવની અનાજની દુકાન અને પેટ્રોલ પંપ ખોલી શકે છે. હવે પીએસીએસ કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) અને બૅન્ક મિત્ર પણ બની શકે છે. આ સાથે હવે પીએસીએસ ડેરી અને ફિશરમેન કમિટીની પણ રચના કરી શકશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર પેક્સ મારફતે એગ્રિ-ફાઇનાન્સ અને એગ્રિ-ડિસ્ટ્રિબ્યુશનનાં માળખાને મજબૂત કરી રહી છે, જે સહકારી ક્ષેત્રને દેશમાં નવી હરિયાળી ક્રાંતિનું કેન્દ્ર બનાવશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા પ્રધાને જણાવ્યું હતું કે, સરકાર અનાજ માટે વિશ્વની સૌથી મોટી સ્ટોરેજ યોજનાને પણ પીએસીએસ હેઠળ લાવી છે. આ સાથે, તહસીલની વાજબી ભાવની અનાજની દુકાન પર જરૂરી તમામ ઘઉં તહસીલમાંથી ખરીદી શકાય છે, તહસીલમાં સંગ્રહ કરી શકાય છે અને ત્યાંથી ઘઉં ગામમાં જશે. આ સાથે ટ્રાન્સપોર્ટેશન પર હજારો કરોડ રૂપિયાની બચત થશે અને ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા પણ ફૂડ સ્ટોરેજ માટે પીએસીએસને ભાડું ચૂકવશે. તેમણે કહ્યું હતું કે, હવે પીએસીએસમાં યુવાનો માટે ઘણી તકો રહેલી છે અને આ તમામ પહેલ વિશે માહિતી સહકારિતા મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. શ્રી શાહે તમામ ખેડૂતોને પીએસીએસને જીવંત રાખવા અને તેમને આગળ વધારવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકારે આગામી 5 વર્ષમાં 3 લાખ નવા પીએસીએસ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જે કૃષિ નાણાં અને કૃષિ ઉત્પાદન વિતરણ પ્રણાલીને વધુ મજબૂત બનાવશે.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here